કેન્દ્ર સરકાર દ્વારા mkisan portal તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર દેશભરના પશુપાલકો અને ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામા આવે છે. આ પોર્ટલ પર એસ.એમ.એસથી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની તુલનાએ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. પોર્ટલ દ્વારા રાજ્યના ૬.૫૦ લાખ પશુપાલકોને ૧૫૭ લાખ એસએમએસ મોકલાયા છે.
રાજ્યના પશુપાલકોને પશુપાલન અંગેની વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન એસ.એમ.એસ. મારફતે મોકલવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગની રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. કુદરતી આપત્તિ સમયે આ પ્રકારના મેસેજથી પશુઓના જાનમાલના રક્ષણ અંગે માહિતી આપીને નુકસાન થતું અટકાવવામાં આવે છે.
ગુજરાતની શ્વેતક્રાંતિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. રાજ્યની અમુલ ડેરી અને બનાસ ડેરીની સફળતાનું શ્રેય સંપૂર્ણ રીતે રાજ્યના સક્ષમ પશુપાલન ઉદ્યોગને આભારી છે. આ પશુપાલન વ્યવસાયના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ હોય છે. પશુપાલન ધારકોને સબસિડીની યોજના, લોન, પશુઓ માટે વીમો, પશુપાલનના સાધનો જેવી સહાય પ્રદાન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની સહાયકારી યોજનાનો લાભ સીધો લાભાર્થીને મળી રહે તે માટે આ એસએમએસ સેવા શરૂ કરાવામાં આવી છે.
રાજ્યમાં તાજેતરમાં થયેલી પશુગણતરી દરમ્યાન 2,71,28,200 પશુઓની વિગતો બહાર આવી છે જેમાં, બનાસકાંઠામાં 25,44,836 પશુઓ નોંધાયા છે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં અવ્વલ નંબરે છે. આ પશુઓના વિકાસ અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું જીવન ધોરણ ઉંચું લાવી રહેલા પશુપાલકો પશુઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરે તે વર્તમાન સમયમાં આવશ્યક પણ છે. સામાન્ય રીતે ઓછું દૂધ આપતાં, આંચળમાં ખામી, વારંવાર ઉથલા મારવાની કુટેવો, માટી, ખસી જવા જેવી બિમારીઓના સમયે ક્યા ક્યા પગલાં ભરવાં જોઈએ તેની માહિતી પણ પશુપાલકોને આપવામાં આવે છે.
રાજ્યના ખેડૂતો વૈજ્ઞાનિક માર્ગદર્શન અને કૃષિ તેમજ પશુપાલનલક્ષી માહિતી મેળવવા માટે કેન્દ્ર સરકારના mkisan portal પર રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકે છે. પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ થાય છે. કિસાનો અને પશુપાલકોને મળતી સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ આપવામાં આવે છે.